રાજસ્થાન જતી બસો શામળાજી બસ સ્ટેશન પર રોકાઈ હતી

નાથ દ્વારા, ઉદયપુર જતી બસો અટકાવી દેવામાં આવી, મુસાફરો ફસાયા
રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાથી સમગ્ર રાજસ્થાનમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ત્યારે ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘટનાને પગલે સતર્કતાના ભાગરૂપે રાજસ્થાન જતી બસોને અટકાવી દેવામાં આવી છે. ખાસ કરીને શામળાજીથી ઉદેપુર જતી બસો પણ બંધ કરી દેવામાં આવી છે. તેથી જો તમારી પાસે શ્રીનાથજીથી ઉદયપુર જવાનો કોઈ પ્લાન હોય તો તેને અત્યારે જ રહેવા દો, કારણ કે હાલમાં આ ઘટનાને પગલે રાજસ્થાન જતી અને નાથ થઈને ઉદેપુર જતી બસોને શામળાજી બસ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.
હાલમાં ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ હત્યાના વિરોધમાં ભાજપ અને વેપારી સંગઠનો દ્વારા આજે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. તંગ પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે કર્ફ્યુ વધુ એક દિવસ માટે લંબાવ્યો છે જે આજે રાત્રે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ સેવા પણ બંધ રહેશે.
આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ, સીએસ, ડીજીપી અને અન્ય અધિકારીઓ ઉદયપુર પહોંચશે અને કન્હૈયાલાલના પરિવારજનોને મળશે. ઉદયપુર એડીએમ ઓપી વીવરે જણાવ્યું હતું કે બુધવારે બે શિફ્ટમાં લેબ આસિસ્ટન્ટની પરીક્ષા હતી, તેથી થોડી માફી આપવામાં આવી હતી. પરંતુ આજે પરીક્ષા માત્ર એક જ શિફ્ટમાં છે. આવી સ્થિતિમાં કડકાઈ વધારવામાં આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં એક મહિના માટે કલમ-144 લાગુ કરવામાં આવી છે.